ડૉક્ટર નિદાન કરે તો ૨૦૦ રૂપિયા, ગૂગલ પર લક્ષણ જોયા બાદ શંકાના સમાધાનનો ચાર્જ ૧૦૦૦ રૂપિયા

05 June, 2022 09:46 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ડૉક્ટરના મતે ઇન્ટરનેટ પર બીમારીનાં લક્ષણ અને તબીબી સલાહ મેળવવી હિતાવહ નથી

પ્રતીકાત્મક તસવીર

ઇન્ટરનેટના જમાનામાં આજકાલ બધાને એક આદત પડી ગઈ છે કે બીમારીમાં ડૉક્ટરની મુલાકાત લેતાં પહેલાં બીમારીનાં લક્ષણને ગૂગલ પર ચેક કરવાની. ડૉક્ટર્સ જોકે આની સલાહ બિલકુલ નથી આપતા. તેમના મતે ઇન્ટરનેટ પર બીમારીનાં લક્ષણ અને તબીબી સલાહ મેળવવી હિતાવહ નથી.  

દરદીઓની આ માનસિકતાને ધ્યાનમાં રાખીને એક ડૉક્ટરે તેના ક્લિનિકની બહાર ઓપીડી ચાર્જિસનું બોર્ડ લગાવ્યું છે, જે મુજબ ડૉક્ટર જ નિદાન કરે અને દવા આપે તો ફી માત્ર ૨૦૦ રૂપિયા, પરંતુ જો ડૉક્ટરે નિદાન કર્યા બાદ ઘરમેળે ઇલાજ કરવાના હો તો ફી ૫૦૦ રૂપિયા, ગૂગલ પર લક્ષણ જોયા બાદ ઊભી થયેલી શંકાના સમાધાનનો ચાર્જ ૧૦૦૦ રૂપિયા, તમે બીમારીનું નિદાન કરીને મારી સારવાર લો તો ૧૫૦૦ રૂપિયા અને તમે જ બીમારીનું નિદાન કરો અને તમે જાતે જ સારવાર કરો તો ૨૦૦૦ રૂપિયાની ફી થશે.

ટ્વિટર-યુઝર @gdalmiathinksએ ડૉક્ટરની ફીના બોર્ડનો ફોટો પોસ્ટ કરીને કૅપ્શનમાં લખ્યું છે, ‘આ ડૉક્ટર તેના સ્થાને સાચો છે. ગૂગલ પર લક્ષણના આધારે પોતે જ પોતાનો રોગ અને મોટા ભાગે સારવાર નક્કી કરીને આવેલા પેશન્ટના સવાલથી ડૉક્ટર કેટલી હતાશા અનુભવતા હશે એ આ બોર્ડ પરથી જણાય છે.’    

offbeat news national news